ચંદ્રની ઉચ્ચ રાશિ અને અંશ
જેમ ચંદ્ર ગ્રહોનો રાજા છે એમ ચંદ્ર ગ્રહોની રાણી છે. ચંદ્ર માતા છે. ચંદ્ર મન છે.
ચંદ્ર વૃષભ રાશિમાં ૩° કૃતિકા નક્ષત્રમાં બીજા પદમાં ઉચ્ચત્વ મેળવે છે.
વૃષભ રાશિ નૈસર્ગિક કુંડળીમાં બીજા ભાવે આવેલી રાશિ છે. બીજો ભાવ ધન ,કુટુંબ , વાણીનો ભાવ છે.
બીજા ભાવે આવેલી વૃષભ રાશિ અર્થ ત્રિકોણની , પૃથ્વી તત્વની, સ્થિર રાશિ છે.
સ્વામી શુક્ર છે. શુક્ર ભૌતિક સુખ સાધનોનો કારક છે. વ્યક્તિ કુટુંબ સાથે હોય તો સલામતી લાગે. કોઈ સારી મીઠી વાણી બે શબ્દ બોલે તો સારું લાગે. ચંદ્ર મન છે. મન હંમેશા સુખ શાંતિ ઈચ્છે. ચંદ્ર ચંચળ હોવાથી જ્યાં સ્થિરત્વ મળે ત્યાં ખુશ રહે છે. વૃષભ રાશિ સ્થિર રાશિ છે . ચંદ્ર અહી સ્થિરત્વ અનુભવે છે.
વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. ચંદ્ર જળ તત્વ છે. જળ તત્વને પૃથ્વી તત્વ જ સાચવી શકે, સંગ્રહ કરી શકે. અને એવી પૃથ્વી પર વધુ અનાજ ઉગે , વધુ ધન મળે.
શુક્ર ભૌતિક સુખ સાધનો સગવડતાનો ધન ધાન્યનો કારક છે. મીઠાશનો કારક છે. ચંદ્ર એટલે મન , મન ભૌતિક જરૂરિયાતો પુરી થાય તો ખુશી અનુભવે. વૃષભ રાશિની સ્થિરતા અને સગવડો મળવાને કારણે ચંદ્ર આ રાશિમાં ઉચ્ચનો થાય છે.
ચંદ્ર કર્ક રાશિનો અધિપતિ છે. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે. વૃષભ રાશિ કર્ક રાશિથી અગિયારમે આવે. અગિયારમો ભાવ ઈચ્છાપૂર્તિ નો છે. ચંદ્ર ની બધી ઈચ્છાઓ અહી પૂર્ણ થાય છે માટે ચંદ્ર વૃષભ માં ઉચ્ચનો થાય છે.
ચંદ્ર વૃષભ રાશિમાં ૩° કૃતિકા નક્ષત્રમાં ઉચ્ચનો થાય છે. કૃતિકા નક્ષત્રનો અધિપતિ સૂર્ય છે. નક્ષત્ર દેવ કાર્તિકેય છે. અગ્નિ તત્વનું, રાજસિક નક્ષત્ર છે.
કૃતિકાઓ જે ઋષિ પત્નીઓ હતી જેમણે શિવ પુત્ર કાર્તિકેયનું માતાની જેમ પોષણ કરી ઉછેર્યા હતા. કૃતિકા નક્ષત્ર અગ્નિ તત્વનું નક્ષત્ર છે. કૃતિકા અગ્નિ મનને શુધ્ધ કરે છે. સુખ વૈભવ વચ્ચે રહીને અનાસક્ત ભાવથી જીવવું અને આત્મસાક્ષાત્કાર કરવા એજ ચંદ્રનું પરમ ઉચ્ચ સ્થાન છે.
ચંદ્ર માતાનો કારક છે. સૂર્ય જીવનશક્તિનો કારક છે. માતા પોતાનાં બાળકોનું પોષણ કરી જીવનશક્તિ પ્રદાન કરે છે. સૂર્ય નૈતિકતાનો કારક છે , આત્મબળનો કારક છે. એટલે ચંદ્ર સૂર્યનાં નક્ષત્રમાં ઉચ્ચનો થાય છે.
ચંદ્ર ૩° એ એટલે કે રાશિની શરૂઆતમાં ઉચ્ચનો થાય છે.
આપણે જાણીએ છીએ કે, એક રાશિ ૩૦° ની હોય છે. જેમાં સવા બે નક્ષત્ર હોય છે. એક નક્ષત્રમાં ચાર પદ હોય છે. મેષ રાશિમાં બે નક્ષત્ર અશ્વિની ભરણી પૂર્ણ થઈ કૃતિકાનું પહેલું પદ હોય છે.
વૃષભ રાશિ કૃતિકા નું બીજુ ત્રીજુ ચોથું એમ ત્રણ પદ હોય છે . એ પછી રોહિણી નક્ષત્ર નાં ચાર પદ અને મૃગશીર્ષ નાં બે પદ એમ થઈ નવ પદ એટલે કે નવ નવમાંશ થાય.
ચંદ્ર કૃતિકાનાં બીજા પદ માં એટલે મકર નવમાંશમાં ઉચ્ચનો થાય છે. મકર રાશિ અર્થ ત્રિકોણની મહત્વ ની રાશિ છે , પૃથ્વી તત્વની રાશિ છે , કર્મની રાશિ છે. કર્તવ્યનિષ્ઠાની રાશિ છે.
અહીં મન ભૌતિક સુખનાં મોહનો ત્યાગ કરી, આત્માને ઉચ્ચ પદે ગતિ કરવાની વૃત્તિ રાખે છે.
જુદી રીતે વિચારીએ તો , મકર રાશિ દસમ ભાવે આવે જે ગવરમેન્ટ, રાજકારણ, હેડ ,રાજા નો ભાવ છે. સામે આવતો ચોથો ભાવ પ્રજાનો થાય. જ્યાં કર્ક રાશિ આવે છે. આમ જનતાએ ભોગવિલાસથી બચીને , ઉપ્લબ્ધ સંસાધનો દ્વારા સમાજની ઉન્નતિ અને વિકાસ કરવા જોઈએ એ માટે સૂર્યનાં સદાચાર અને નૈતિકતાના ગુણ હોય તો જ શક્ય બને. માટે ચંદ્ર વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્રમાં બીજા પદમાં ઉચ્ચત્વ મેળવે છે.
આમ સ્થિરતા અને સુખ સગવડ કર્મ કરીને મેળવવાની રાશિ, નક્ષત્ર અને નવમાંશમાં ચંદ્ર ઉચ્ચનો થાય છે.
ચંદ્ર આ નક્ષત્રમાં હોય એ વ્યક્તિ ભૌતિકતા પ્રેમી હોય. બ્રાન્ડેડ વસ્તુઓની શોખીન હોય છે. લીડરશીપનો ગુણ ધરાવતી હોય છે.
વૃષભ રાશિમાં ૩° થી ૩૦° માં ચંદ્રની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે.
કૃતિકા પછી રોહિણી નક્ષત્ર આવે છે. રોહિણી નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો લાગણીશીલ , ભૌતિકતા પ્રેમી , સોફ્ટ નેચરના હોય છે. આ જાતકો સંગીત, નૃત્ય જેવી કલાક્ષેત્રે રૂચિ ધરાવતા જોવા મળે છે. વૃષભ રાશિ વાણીના સ્થાને આવતી હોવાથી આ જાતકો સોફ્ટ અને મીઠાશથી બોલવાવાળા હોય છે.
મૃગશીર્ષ નક્ષત્ર માં જન્મેલા જાતકો એડવેન્ચરસ હોય છે. ફરવાના શોખીન , નેચરપ્રેમી અને ફોટોગ્રાફી નો શોખ હોય છે.